ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે છે વર્જિત ?

 ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે છે વર્જિત ?


હિન્દુ ધર્મમાં, ગૌરીના પુત્ર ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ, કીર્તિ, અવરોધો અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ દૂર કરે છે. ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે વિવિધ વસ્તુઓ ચઢાવે છે. ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.

પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम | ’ એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.

તુલસીજી એક દિવસ નારાયણ પરાયણ થઈને તપસ્યા માટે તીર્થોનું ભ્રમણ કરતા ગંગાના કિનારે પહોંચ્યાં. ત્યાં તેમણે તરુણ અને યુવા ગણેશજીને જોયા. તેઓ અત્યંત સુંદર પિતાંબરમાં અને સુંદર આભુષણોથી સુશોભિત હતા. ગણપતિ પણ તે સમયે ઈશ્વરભક્તિમાં લીન હતાં. તેમને જોઈ તુલસી દેવી તેમના તરફ આકર્ષિત થયાં. તુલસી તેમનો ઉપહાસ કરવા લાગ્યા જેનાથી ગણપતિનું ધ્યાનભંગ થયુ.

જે બાદ ગણપતિએ તેમનો પરિચય પૂછ્યો અને તેના આગમનનું કારણ પૂછ્યું. પછી ગણપતિએ તેમને કહ્યું કે, માતા તપસ્વીઓને ધ્યાનભંગ કરવું સદાય માટે અમંગળકારી હોય છે છતાં પરમાત્મા તમારું કલ્યાણ કરે અને મારા ધ્યાનભંગથી ઉત્પન્ન થયેલો દોષ આપના માટે અમંગલકારી ન રહે. ત્યારે તુલસીજીએ કહ્યું કે, હું ધર્માત્મજની પુત્રી છું અને હંમેશા તપસ્યામાં મગ્ન રહું છું. મારી તપસ્યા પતિની પ્રાપ્તિ માટે છે. આથી તમે મારી સાથે વિવાહ કરી લો. તુલસીની વાત સાંભળીને બુધ્ધિશ્રેષ્ઠ ગણપતિજી એ કહ્યું કે માતા, હું બ્રહ્મચારી છું. લગ્નથી તપસ્યાનો નાશ થાય છે તે ભવબંધનમાં બાંધનારા હોય છે. તમે મારા પરથી આપનું ધ્યાન હટાવીને અન્યને પતિના રૂપમાં શોધી કાઢો.

ત્યારે તુલસી ગુસ્સે થાય છે અને તેમણે ગણેશજીને શ્રાપ આપતા કહ્યું કે, તમારા લગ્ન થશે જ. આ સાંભળીને ગણેશજી પણ ગુસ્સે થઈ ગયા અને તેમણે તુલસીને શ્રાપ આપ્યો કે તેઓ અસુરોથી ગ્રસ્ત બનીને વૃક્ષ બની જશે. આ શ્રાપથી તુલસીજી વ્યથિત થઈ ગયા. તેમણે ભગવાન ગણેશની વંદના કરી. તેમની વંદનાથી ગણેશજી પ્રસન્ન થયાં. તેમણે તુલસીને કહ્યું કે, તમે છોડમાં સર્વશ્રેષ્ઠ ગણાશો અને તમે નારાયણની પ્રિયા બનશો. દરેક દેવતાઓ આપના માટે સ્નેહ રાખશે પણ નારાયણને આપ વિશેષ પ્રિય રહેશો. તમારી પૂજા મનુષ્યો માટે મુક્તિદાયિની નિવડશે પણ મારી પૂજામાં આપનો ક્યારેય ઉપયોગ નહીં થાય. આમ કહીને ગણેશજી ફરીથી તપમગ્ન થયાં.

ત્યારથી, ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચડાવવાને હિન્દુ ધર્મમાં વર્જિત માનવામાં આવે છે.

:- સંજય મોરવાડિયા (સંકલિત માહિતી)


Comments

Popular posts from this blog

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર

હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 4